સરળ રાજયોગ
રાજયોગ એ જગતમાંના કોઈ પણ વિજ્ઞાન જેવું જ એક વિજ્ઞાન છે. એ મનનું પૃથ્થકરણ છે, ઇન્દ્રિયાતીત જગતની હકીકતોનું સંકલન છે. અને તેથી આધ્યાત્મિક જગતનું ચણતર કામ છે.
સ્મૃતિ કે ચેતના, બેમાંથી એકેય અસ્તિત્વની મર્યાદારૂપ બની શકે નહિ. ચેતનાથી પર પણ એક અવસ્થા છે. આ અતિચેતન અવસ્થા અને અચેતન અવસ્થા બંને ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી રહિત છે, પરંતુ તેમની વચ્ચે ભેદ વિશાળ છે; આ ભેદ અજ્ઞાન અને જ્ઞાન વચ્ચેના ભેદ જેટલો છે. યોગને તર્ક ગમ્ય રીતે, એક વિજ્ઞાન તરીકે રજુ કરો.
યોગ્ય આપણને ભૈતિક પદાર્થને આપણા ગુલામ બનાવતાં શીખવે છે. યોગ એટલે 'ઘુસરીએ યોજવું', 'જોડવું', એટલે કે માનવ આત્માને પરમાત્મા કે ઈશ્વર સાથે જોડાવો.
મન ચેતનાની અંદર અને ચેતનાની નીચે કાર્ય કરે છે. આપણે જેને ચેતના કહીએ છીએ તે, આપણી પ્રકૃતિરૂપી એક અનંત સાંકળ માંહેની એક કડી માત્ર છે.
આપનો આ "અંહ" ચેતનાના કેવળ થોડાક ભાગને અને અચેતનાના વિશાળ વિસ્તારને આવરે છે, જયારે તેના ઉપર, અને ઘણે અંશે તેનાથી અજ્ઞાત એવી, સમાધિની ભૂમિકા છે.
એકનિષ્ઠ અભ્યાસ દ્વારા મનના એક પછી એક થર આપણી સમક્ષ ઉઘડતા જાય છે, અને પ્રત્યેક થર આપણી પાસે નવી વસ્તુઓ પ્રગટ કરે છે. આપણને લાગે છે કે જાણે નવી સૃષ્ટિઓ આપણી સમક્ષ રચાઈ રહી છે, નવી શક્તિઓ આપણા હાથમાં મુકાતી આવે છે. પણ આપણે માર્ગમાં અટકી જવું ન જોઈએ, અથવા તો આપણી સમક્ષ હીરાની ખાન પડેલી હોય ત્યારે "કાચના મણકા"થી આપણી જાતને અંજાઈ જવા દેવી ન જોઉએ.
માત્ર ઈશ્વર જ આપણું ધ્યેય છે. ઈશ્વરપ્રાપ્તિમાં નિષ્ફળ જઈએ એ આપનો વિનાશ છે.
સફળતા ઇચ્છતા અભ્યાસીને ત્રણ બાબતો જરૂરી છે :
પહેલી :
આ જગતમાં અને પરલોકમાં ભોગના સર્વ વિચારોને છોડી દો. માત્ર ઈશ્વર અને સત્યની જ કાળજી રાખો. આપણે અહીં સત્ય જાણવા માટે છીએ, ભોગ માનવા માટે નહિ, ભોગને પશુઓ માટે રાખી દો; તેઓ તેમાં જેટલો આનંદ પામે છે તેટલો આનંદ આપણને કદી નહિ આવે. માનવ બુદ્ધિશાળી પ્રાણી છે, અને જ્યાં સુધી તેને પ્રયત્ન કર્યે જ રાખવો જોઈએ. નિષ્ફળ વ્યર્થ વાતોમાં તેને પોતાની શક્તિને ખર્ચી નાખવી ન જોઈએ. સમાજની અને લોકમતની પૂજા એ મૂર્તિપૂજા છે. આત્માને લિંગ નથી, સ્થળ નથી, કાળ નથી.
બીજી :
સત્ય અને ઈશ્વરને જાણવા માટેની તીવ્ર ઈચ્છા. ડૂબતો માણસ જેમ શ્વાસને ઝખે, તેટલી ઉત્કટતાથી ઈશ્વર અને સત્યને માટે આતુર બનો, તેટલી ઉત્કટતાથી તેને માટે ઝખો. કેવળ ઈશ્વરને જ ઈચ્છો, બીજું કઈ સ્વીકારો નહિ. ધ્યાન રાખો કે "આભાસ" તમને હવે પછી છેતરી ન જાય. તમામ બાબતો તરફથી દ્રષ્ટિ પાછી વાળીને માત્ર ઈશ્વરને જ શોધો.
ત્રીજી:
છ પ્રકારનો અભ્યાસ - ષટસંપત્તિ :
1. મનને બહાર જતું અટકાવવું - શમ
2. ઇન્દ્રિઓને સંયમમાં રાખવી - દમ
3. મનને અંતર્મુખ બનાવવું - ઉપરતી
4. બડબડાટ કર્યા વિના પ્રત્યેક વસ્તુ સહન કરવી-તિતિક્ષા
5. એક જ વિચારમાં મનને કેન્દ્રિત કરવું. તમારી સમક્ષના વિષયને લઈને તેનું જ ચિંતન કરો ; તેને કદી છોડો નહિ.સમયની ગણતરી કરો નહિ આ છે શ્રદ્ધા.
6. તમારી સાચી પ્રકૃતિનો સતત વિચાર કરો. વહેમનો ત્યાગ કરો. તમારા પોતામાં લઘુતા છે એ માન્યતાથી તમારી જાતને મોહગ્રસ્ત બનાવો નહિ. ઈશ્વર સાથે તમારી એકતાની તમને સાચી અનુભૂતિ થાય નહિ ત્યાં સુધી રાતદિવસ તમારા સાચા સ્વરૂપ વિષે તમારી જાતને કહ્યા કરો. આ છે સમાધાન.
નિર્વિશેષ તત્વની અનુભૂતિ થઈ શકે, પરંતુ આપણે તેને કદી વ્યક્ત કરી શકીએ નહિ. જે ઘડીએ આપણે તેને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીએ, તે જ ઘડીએ આપણે તેને માર્યાદિત બનાવીએ છીએ; તે નિર્વિશેષ રહેતું નથી.
આપણે ઇંદ્રિયોની સીમાથી પર જવું જ પડશે; આ કરવાની શક્તિ આપણામાં છે.





